May 19, 2024

‘સિક લીવ’ પર ગયા એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ, 70થી વધુ ફ્લાઈટ્સ રદ

અમદાવાદ: ટાટા અને એર ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અગાઉ વિસ્તારામાં પાયલોટની અછતને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. હવે એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સને સિક લીવ પર જવાથી ઘણી સમસ્યા સર્જાઈ રહી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓની આ કાર્યવાહીને કારણે મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 70થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

ANIના ટ્વિટ અનુસાર, નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર નજર રાખી રહ્યા છે. ઘણા મુસાફરો ખૂબ પરેશાન છે. તેઓએ એર કેરિયર સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની મદદ લીધી છે. ગયા મહિને એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓએ ગેરવહીવટનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

માહિતી આપતા, એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે એરલાઈન્સના કેબિન ક્રૂના એક જૂથે ગઈકાલે રાત્રે છેલ્લી ક્ષણે બીમાર હોવાની જાણ કરી હતી, જેના કારણે ફ્લાઈટ મોડી પડી હતી અને ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. જ્યારે અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂ સાથે વાતચીત કરી રહ્યા છીએ. એરલાઇન ટીમો આ સમસ્યાને સક્રિયપણે શોધી રહી છે અને સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: એસ્ટ્રાઝેનેકાએ દુનિયાભરની બજારમાંથી કોરોના વેક્સીન પાછી મંગાવી

પ્રવક્તાએ કહ્યું કે ક્રૂ મેમ્બરોની અચાનક તબિયત લથડવાના સમાચારને કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે એરલાઇન ક્ષમા માંગે છે. પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઇટ કેન્સલેશનથી પ્રભાવિત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અથવા ફ્લાઇટ અન્ય કોઈ તારીખે નક્કી કરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે આજે એરપોર્ટ પર આવતા પહેલા મુસાફરોએ તપાસ કરી લેવી જોઈએ કે તેમની ફ્લાઈટ રદ થઈ છે કે નહીં.