May 29, 2024

શું અમેરિકા લગાવશે ભારત પર પ્રતિબંધ? ચાબહાર બંદર કરાર પર જયશંકરની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ ભારત અને ઈરાને ચાબહાર પોર્ટને લઈને દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર પછી તરત જ યુએસએ ચેતવણી આપી હતી કે જે કોઈ પણ તહેરાન સાથે વેપાર સોદા પર વિચાર કરે છે તે સંભવિત પ્રતિબંધોનો સામનો કરી શકે છે. અમેરિકાની આ ચેતવણી બાદ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, લોકોએ આ અંગે સંકુચિત દૃષ્ટિકોણ ન રાખવો જોઈએ, કારણ કે આ કરારથી દરેકને ફાયદો થશે.

જયશંકરે મંગળવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં અમેરિકાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, મેં જોયું કે આ કરારને લઈને કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે વધુમાં કહ્યુ કે, ‘મને લાગે છે કે તે સંવાદ અને લોકોને સમજાવવાનો પ્રશ્ન છે. તેમણે સમજવું પડશે કે આ કરાર (ચાબહાર બંદર)થી દરેકને ફાયદો થશે. સંકુચિત દૃષ્ટિકોણ ન રાખવો જોઈએ.’

આ પણ વાંચોઃ બ્રિટનમાં ગૂંજ્યો PoKનો મુદ્દો, ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત; લોકોમાં આક્રોશ

જયશંકરના મતે અમેરિકાનો ચાબહાર પર પહેલા ક્યારેય નકારાત્મક વિચાર નહોતો. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમેરિકાએ ઘણી વખત ચાબહારની પ્રશંસા કરી છે. ઈરાન તરફથી ઘણી સમસ્યાઓ હતી. આખરે અમે તેને ઉકેલવામાં અને લાંબાગાળાના કરાર સુધી પહોંચવામાં સફળ થયા છીએ. આ કરાર મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિના તમે બંદરની કામગીરીમાં સુધારો નહીં કરી શકો. અમને વિશ્વાસ છે કે તેની કામગીરીથી સમગ્ર પ્રદેશને આનો લાભ મળશે.’

ચાબહાર કરાર અંગે અમેરિકાનું નિવેદન
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે ચાબહાર કરાર અંગે કહ્યું હતું કે, ઈરાન પર અમેરિકન પ્રતિબંધો લાગુ રહેશે. હું માત્ર એટલું જ કહીશ કે ઈરાન પર અમેરિકી પ્રતિબંધો યથાવત રહેશે અને અમે તેને લાગુ કરવાનું ચાલુ રાખીશું. ઈરાન સાથેના વેપાર સોદા અંગે વિચારતી કોઈપણ સંસ્થાએ એ જોખમથી વાકેફ રહેવું જોઈએ કે, પ્રતિબંધો લાગી શકે છે.’ ઉલ્લેખનીય છે કે, સોમવારે ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPCL) અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (PMO) વચ્ચે લાંબા ગાળાના દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.