સુરતી લાલાની અનોખી કળા, 45 વર્ષથી શિવજીને ચડાવવા ઘીમાંથી બનાવે છે કમળ!

અમિત રુપાપરા, સુરતઃ ભગવાન શિવને રિઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રિનો પર્વ. આ દિવસે ભગવાન શિવને કોઈપણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનું અનેકગણું ફળ લોકોને પ્રાપ્ત થતું હોય છે. ત્યારે સુરતમાં પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે. પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રિના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિઃસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે.
પ્રકાશભાઈ જરીવાલા સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી સીધી શેરીમાં પરિવાર સાથે રહે છે. તેઓ 45 વર્ષથી ભગવાન શિવને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે. પ્રકાશભાઈ બે પ્રકારના ઘીના કમળ પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે. જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.
પ્રકાશભાઈ જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ઘરના આઠ સભ્યો તેમજ સ્થાનિક મિત્રો તેમજ આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રિના 15 દિવસ પહેલાં જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. સુરતના 20થી 25 જેટલા મંદિરો માટે એકપણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે.
ઘીના કમળ તૈયાર કરવા માટે કાચા ઘીને સૌપ્રથમ તો ફીણવામાં આવે છે અને ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે છે અને આ ગરમ કરેલા ઘીને અલગ અલગ રીતે ઠંડુ કરીને જમાવવામાં આવે છે. ત્યારબાદ જામી ગયેલા ઘીમાંથી કમળનો આકાર તૈયાર કરવામાં આવે છે. આ જ પ્રકારે ઘીને અલગ અલગ સાઈઝની પ્લેટોમાં જમાવીને તેના પર ક્લાત્મક રીતે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને ભગવાન શિવની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવે છે.
પ્રકાશભાઈ જરીવાલાના પુત્રવધુ પ્રિયંકાબેન જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કેનવાસ પર જ્યારે કોઈપણ ચિત્ર તૈયાર કરવામાં આવતું હોય છે, ત્યારે આસાનીથી આ ચિત્ર તૈયાર કરી શકાય છે. કારણ કે કેનવાસ ફાટી જવાનું કે ઉખડી જવાનો ડર રહેતો નથી પરંતુ જ્યારે ઘીને જમાવીને તેના પર અલગ અલગ કલરથી પીંછી વડે ડ્રોઈંગ તૈયાર કરવામાં આવે છે ત્યારે બીજી વખત પીછી અડાડતા ઘી ઉખડી જવાનો ડર રહે છે અને આ ડ્રોઈંગ તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, અલગ અલગ મંદિરોમાંથી ઘીના કમળ તૈયાર કરવા માટે કહેવામાં આવે છે અને મંદિરો તરફથી જે ઘી આપવામાં આવે છે, તેમાંથી કમળ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે. આ કમળ થયા બાદ તેને અલગ અલગ મંદિરમાં 10થી 15 દિવસ સુધી ભગવાન પર ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ આ ઘીનો ઉપયોગ દીવામાં દિવેલ તરીકે કરવામાં આવે છે.
મહત્વની વાત છે કે, પ્રકાશભાઈ જરીવાલાના ઘરે આસપાસના ઘરોમાં રહેતી યુવતીઓ પણ આ સેવાકીય કાર્યમાં યોગદાન આપવા માટે આવે છે. આ યુવતીઓએ પણ વર્ષોની મહેનતથી ઘી પર કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવાનું શીખી લીધું છે. રોજ રાત્રે પ્રકાશભાઈ જરીવાલા તેમના પરિવારના સભ્યો મિત્રો તેમજ આસપાસના રહેવાસીઓને સાથે મળીને ઘીના કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.