ઈન્ડિયન ફોક કાર્નિવલ 2025: વિસરાતી લોકકલાઓને મળશે રાષ્ટ્રીય મંચ, જાણો રજીસ્ટ્રેશન પ્રોસેસ

Indian Folk Carnival 2025: ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા ભારતભરના લોકનૃત્ય અને લોકકલાના હિરાઓ માટે રાષ્ટ્રીય મંચ પૂરું પાડવાના હેતુથી 3 દિવસીય ‘ઈન્ડિયન ફોક કાર્નિવલ’નું આયોજન કરાયું છે. 30-31 મે અને 1લી જૂન દરમિયાન અમદાવાદ સ્થિત કર્ણાવતી ક્લબ ખાતે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ જેવા રાજ્યોના 1000થી વધારે કલાકારો પરફોર્મ કરી પોતાના રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરશે.

ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દેશની એકમાત્ર એવી સંસ્થા છે કે જેની સાથે 5,000થી પણ વધુ લોક કલાકારો જોડાયેલા છે અને આ કલાકારોને દેશ-વિદેશમાં પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ સંસ્થા કરી રહી છે. આ સંસ્થાના સ્થાપક અને લોકકલાવિદ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્નિવલ માટે જણાવ્યું કે, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનું મંચ એ તળના કલાકારો પાસે રહેલી ટોચની કળા પીરસવાનું ભારતનું સૌથી મોટું મંચ છે.

આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાદવે આ શો બાબતે જણાવ્યું કે, આપણી લોકકલા GEN Zથી આગળ વધીને GEN ALPHA અને GEN BETA સુધી પહોંચ્યા બાદ પણ તરોતાજા રહે તે માટે આ અનોખું આયોજન થઈ રહ્યું છે. આ 3 દિવસના કાર્યક્રમમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો પરફોર્મ કરવામાં આવશે.

વિશાળ LED screen પર કોન્સેપ્ચ્યુઅલ વિઝ્યુલ ડિઝાઇન, સુપર્બ સાઉન્ડ સિસ્ટમ, લેટેસ્ટ લાઇટિંગ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. જે બાબતે વાત કરતા ઈવેન્ટ ડિરેક્ટર અને ધ વિઝ્યુઅલાઈઝરના ફાઉન્ડર જિતેન્દ્ર બાંધણિયાએ જણાવ્યુ કે, આ એક એવો શો છે, જેનાથી બે જનરેશન કનેક્ટ થશે. અત્યારની પેઢી પણ કલાની ચાહક છે જ.બસ તેમને તેમના અંદાજમાં પીરસવું પડે છે. આમ કરવાથી નવી પેઢીને મૂળ સાથે જોડી શકાશે.

આ શો દ્વારા વિસરાતી જતી લોકકલાને રાષ્ટ્રીય મંચ મળશે. કલાચાહકો માટે આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે, પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. પાસ માટે 9016031743 નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકાશે. તો આવો, મળીએ અને માણીએ, ઈન્ડિયન ફોક કાર્નિવલ.