રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 મહિના સુધી 24 કલાક ખુલ્લુ રહેશે, ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે

ઋષિ દવે, રાજકોટઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ 2 મહિના સુધી 24 કલાક ખુલ્લુ રહેશે. અહીં કોઈપણ સમયે ઇન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થઈ શકશે. દુબઈ, ઓમાન, શાહજહાં, અમીરાત સહિત મિડલ ઇસ્ટની ફલાઇટ માટે રાજકોટ એરપોર્ટને 24 કલાક વોચ અવર્સ શરૂ રાખવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે એરોસ્પેસ ક્લોઝ કરતા હાઈ ઓથોરિટી દ્વારા મિડલ ઇસ્ટ દેશોમાં ઉડ્ડયન કરતી ફલાઈટની ઇમરજન્સી માટે આ નિર્ણય લઈને રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહનાં અધ્યક્ષસ્થાને ગઈકાલે મહત્વપૂર્ણ મિટીંગ મળી હતી. જેમાં એરપોર્ટના તમામ વિભાગના અધિકારીઓ અને ખાસ કરીને ઓપરેશનલ ટીમ સાથે અગત્યની વાટાઘાટો સાથે 24 કલાક એરપોર્ટને ચાલુ રાખવા માટે વધુ 50 જેટલો સ્ટાફને મોકલવા વેસ્ટર્ન રિજિયનને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત ક્સ્ટમ, ઈમિગ્રેશનને ઓથોરિટીએ જાણ કરી છે.
ઓમાન, દુબઈ, દોહા અને શાહજહાં માટે ઈન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી ઉડાન ભરે છે. આ સેક્ટર માટે પાકિસ્તાનના કરાચી અને લાહોર નેવિગેશન રૂટનો ઉપયોગ થતો હતો. નેવિગેશનનો આ મેપ શોર્ટકટ હતો અને ઇંધણ પણ ઓછું વપરાય છે. પાકિસ્તાનના આ નિર્ણયથી આ ફલાઇટ લાહોર કે કરાચી જઈ શકે એમ નથી. એટલે અમદાવાદ એરપોર્ટને ઇમરજન્સી માટે એપ્રોચ કર્યો હતો પણ ત્યાંનું એરપોર્ટ સતત વ્યસ્ત હોવાથી ઈન્ડિગો એરલાઇને રાજકોટ એરપોર્ટ માટે ભલામણ કરી છે. મળતી વિગતો અનુસાર, ઉચ્ચ કક્ષાએથી 3 મહિના માટે 24 કલાક એરપોર્ટને ચાલુ રાખવા માટેની તૈયારી રાખવા જણાવ્યું છે.