ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયત વિભાગનો સર્વે, ખેડૂતોમાં ખુશી

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયત વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બાગાયત વિભાગની કચેરી ખાતે ખેડૂતોએ ધરણા યોજી ત્રણ દિવસમાં સર્વેનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારબાદ રિસર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના બાગાયત ખેતીમાં ભારે નુકસાની હોવાને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેસર કેરીના બગીચાઓમાં ગ્લોબલ વોર્મિંગ અને જીવાત તેમજ અન્ય કારણોસર ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે, તેને લઈને ખેડૂતો હાલ સહાયની માગ કરી રહ્યા છે. જો કે, બાગાયત વિભાગ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટને લઈ ખેડૂતો રોષે ભરાયા હતા.

આ રિપોર્ટમાં વૈજ્ઞાનિક ઢબે બાગાયત ખેતી ન થઈ હોવાનું અને અન્ય કારણો દર્શાવવામાં આવ્યા હતા. જેનો ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, કચેરીની ઓફિસમાં બેઠા બેઠા રિપોર્ટ તૈયાર કરાયો છે. જેથી રિ-સર્વેની ખેડૂતો લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. બે દિવસ પહેલાં સરપંચો અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ તાલાલા બાગાયત વિભાગની કચેરી ખાતે ધરણા યોજી ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.