અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની વિદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી, 400થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

અમદાવાદઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ હવે ગુજરાત પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં આ મામલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, EOW અને ઝોન 6 હેડ ક્વાટરની ટીમ જોડાઈ હતી અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન 400થી વધુ બાંગ્લાદેશી શંકાસ્પદ ઘુસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ ઘુસણખોરોને હાલ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં ભેગા કરવામાં આવ્યા છે.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચ JCP શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ઇસનપુરના ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ દરમિયાન 457 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. તમામની સઘન પૂછપરછ ચાલુ છે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગયા વર્ષે આ મામલે બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 70 જેટલા બાંગ્લાદેશીઓને ઘરભેગા કર્યા હતા.

સુરતમાં 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
સુરત શહેર DCB અને SOGએ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 100 વધુ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરી છે. આ તમામ બાંગ્લાદેશીઓ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા. પોલીસે ગેરકાયદેસર સુરતમાં વસતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.